
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની INSV કૌંડિન્યાની પ્રથમ યાત્રા પર હર્ષ વ્યક્ત કર્યો છે. આ સફર માત્ર એક જહાજની યાત્રા નથી, પરંતુ ભારતની પ્રાચીન દરિયાઈ શક્તિનું પુનઃપ્રદર્શન છે. સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીએ ચાલક દળને સલામત અને યાદગાર સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાચીન 'સિલાઇ-જહાજ' તકનીકનો અદભૂત નમૂનો
INSV કૌંડિન્યાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્રાચીન ભારતીય ‘સિલાઇ-જહાજ’ (Stitched Ship) તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં લાકડાના પાટિયાઓને ખીલીઓ મારવાને બદલે દોરીઓથી સીવીને જોડવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ જહાજ દેશની સમૃદ્ધ દરિયાઈ પરંપરા અને વારસાને જીવંત કરે છે.

નિર્માતાઓને પીએમ મોદીએ બિરદાવ્યા
આ અનોખા જહાજને સાકાર કરવા માટે પીએમ મોદીએ ડિઝાઇનર્સ, કુશળ કારીગરો, જહાજ નિર્માતાઓ અને ભારતીય નૌકાદળના સમર્પણની પ્રશંસા કરી હતી. આ પ્રોજેક્ટ ભારતના ભવ્ય ભૂતકાળ અને આધુનિક નૌકાદળની ક્ષમતાઓનો અદભૂત સંગમ દર્શાવે છે, જે ભવિષ્યની સાગર યાત્રાઓ માટે નવો માર્ગ મોકળો કરશે.
