ઉત્તર ભારતમાં પડી રહેલી કકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઓછી દૃશ્યતાને લીધે આજે હવાઈ અને રેલવે સેવાઓ પર માઠી અસર પડી છે. ખરાબ હવામાનના કારણે અત્યાર સુધીમાં 118 ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા છે, જેનાથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.
રેલવે અને હવાઈ સેવાઓ પર બ્રેક
માત્ર હવાઈ માર્ગ જ નહીં, પણ રેલવે વ્યવહારને પણ મોટી અસર થઈ છે. દિલ્હી તરફ આવતી 20 થી વધુ ટ્રેનો ધુમ્મસના કારણે 3 કલાક કે તેથી વધુ સમય મોડી ચાલી રહી છે. પાટા પર ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી રાખવાની ફરજ પડી રહી છે, જેની સીધી અસર મુસાફરોની સમયસારણી પર પડી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લે. મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને પણ કડક નિર્દેશ આપ્યા છે કે તેઓ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે.