નવી દિલ્હીમાં આયોજિત ‘ક્રેડાઈ (CREDAI) રાષ્ટ્રીય સંમેલન 2025’માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના માળખાગત વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં આવી ગયું છે.
શ્રી શાહે ઉલ્લેખ કર્યો કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, ભારતમાલા, સાગરમાલા અને પર્વતમાલા જેવી યોજનાઓએ દેશના શહેરી વિકાસને નવી મજબૂતી આપી છે. સરકારના દૂરંદેશી અભિગમથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ મોટી પ્રગતિ થઈ છે. તેમણે વિકાસકર્તાઓને ટકાઉ અને જવાબદાર વિકાસ માટે સહયોગ કરવા આહ્વાન કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતની લગભગ 50 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે. આ પરિસ્થિતિમાં લોકોને આવાસ પૂરા પાડવાની મુખ્ય જવાબદારી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર છે. તેમણે ‘રેરા’ (RERA) ને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું, જેણે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરી બાંધકામ ક્ષેત્રે ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરી છે.